અસ્મિતા વિશેષ સંવાદ : 19 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com  

ગુજરાતી સાહિત્યમાં નવલકથા લેખનમાં મોખરાનું  નામ એટલે વીનેશ અંતાણી. આમ તો એ  પ્રસાર માધ્યમના માનવી. એક વખતના બળુકા માધ્યમ આકાશવાણીમાં દુર્ગમ સ્થળોએ રહીને પ્રદાન કરનાર અધિકારી. પણ કલમ અને કલ્પના સાથે તેમને પૂર્વ જન્મનો નાતો  એટલે એમના  દ્વારા  કલમને કાગળ સ્પર્શે અને અસ્ખલિત શબ્દોનું સર્જન થાય. ચાલીસેક વર્ષો પછી પણ વીનેશ અંતાણી એટલે પ્રિયજન, એવું બોલાય અને હોંશથી હૃદય ભરાય જાય એવા યાદગાર સર્જનના માતબર પ્રદાતા વિનેશ અંતાણીને વિશ્વકોશના સ્ટુડીઓમાં સંવાદ માટે નોતરી શક્યા એ જ મોટું સદ્ભાગ્ય, કારણ એ તો હવે વર્ષના છ માસ હૈદરાબાદ કુટુંબસ્થ  થઈને વસે છે. વીનેશ અંતાણીને જ સાંભળીએ :

        “મારી ઓળખાણ આપતા કોઈએ કહ્યું કે વીનેશભાઈ પ્રિયજનના જનપ્રિય લેખક છે.  એણે કશું જ નહોતું કર્યું પણ પ્રિયજન માંથી જન શબ્દ પહેલા લીધો અને પછી જનપ્રિય કર્યું. મારી ઓળખાણો અપાય છે પણ એ ઓળખાણ મને વિશેષ સ્પર્શી ગઈ….પ્રિયજનનને કારણે જે મારો બીજો અનુભવ છે કે તમારે લોકોની રુચિ પ્રમાણે જ લખવું જોઈએ એવું કઈ જરૂરી નથી. સર્જક જો ધારે તો પોતાની કલમથી વાચકોની રુચિને ઘડી પણ શકે. ‘પ્રિયજન’ તમને પણ એટલી જ પ્રિય છે. મારાથી પણ વધારે પ્રિય છે. તો એમાં કલાના અંશો છે, કલાત્મકતા પણ છે. છતાં પણ એ લોકો સુધી  બહુ પહોંચી છે. 

       અત્યારે પ્રિયજન હવે ૪૧ વર્ષની થઇ… ૪૧ વર્ષ પહેલા લખાયેલી છે છતાં પણ એ એવી જ તરુણ છે, એવી જ યુવાન છે અને એવી જ પ્રૌઢ છે. હજુ પણ હું જોઉં છું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જયારે મને મળે ત્યારે એમની આંખોમાં પ્રિયજનની વાત કરતા કરતા જે ભાવો આવે છે, જે મુગ્ધતા આવે,  જે લગાવ આવે છે એમનું જે પ્રિયજન પ્રત્યેનું જે પ્રિયજનપણું દેખાય છે એ હજી મને બહુ નવાઈ પમાડે છે. કારણ કે આજે  ૪૧ વર્ષની થયેલ ‘પ્રિયજન’ વખતે તો એ લોકો જન્મ્યા પણ નહોતા. મેં ‘પ્રિયજન’ લખી એ પહેલા મેં નાટક લખ્યું હતું, માલીપા નામનું.. માલીપા એટલે સૌરાષ્ટ્રમાં માંહ્યલી પા તો આપણા લોકવાર્તાકાર બચુભાઈ ગઢવી હતા. એ એકવાર અમારે ભુજમાં આવ્યા હતા. જો જો કેવી રીતે કૃતિનો જન્મ થતો હોય છે એ પણ કેટલું બધું મહત્વનું છે. અને હું તો હંમેશા કહેતો એવું છું કે માત્ર સર્જકને, લેખકને, કવિને કે કોઈ પણ કલાકારને પોતાની કૃતિ અવતરવાનો માત્ર એના સર્જકને જ લોભ નથી હોતો પેલી કૃતિને,   પેલી કલાને પણ લોભ હોય છે કે હું અવતાર લઉં, હું અવતરણ કરું એના માટે એ ક્યારેક કોઈક વ્યક્તિની પસંદગી કરે છે અને જાણે ઉપરથી કોઈ પ્રકાશપૂંજ આવતો હોય એમ એ કૃતિ તમારી અંદર સાંગોપાંગ પ્રવેશ કરે છે. પ્રિયજને તો મારી અંદર એ રીતે જ પ્રવેશ કર્યો છે. તો વાત હતી એ કે બચુભાઈ ભુજ આવ્યા હતા ત્યાં એ સૌરાષ્ટ્રની લોકવાર્તા કહેતા હતા. તો વારંવાર માલીપા માલીપા શબ્દનો પ્રયોગ કરે હું તો રૂમના છેવાડે બેઠો હતો અને સાંભળતો હતો. પછી મને થયું કે આ માલીપા શબ્દ બહુ સારો છે અંગ્રેજીમાં within શબ્દ માટે માંહ્યલીપા થી વધારે ગુજરાતી શબ્દ હોય શકે નહીં. તો એ વખતે હું આકાશવાણીમાં હતો અમારા સ્ટેશન ડાયરેક્ટર ચંદ્રકાન્ત ભટ્ટ હતા. એમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય પર પુષ્કળ કામ કર્યું. અમારે ત્યાં એ વખતે આકાશવાણીમાં દર વર્ષે રેડિયો નાટ્ય મહોત્સવ ઉજવાતો. એમાં દરેક ગુજરાતના સ્ટેશન અને મુંબઈનું સ્ટેશન પણ એમાં એક એક કલાકના નાટક આપે. ભટ્ટ સાહેબે કહ્યું કે વીનેશ આ વખતે નાટક તારે લખવાનું… તો મેં કહ્યું,  સારું પણ મારી પાસે કોઈ વિષય નથી. તો કહે એ તું કરજે ને.. તો એ જ વખતે આ માંહ્યલી પા શબ્દ વાપર્યો હતો તો મેં ભટ્ટ સાહેબને કહ્યું કે નાટકનું નામ માંહ્યલી પા રાખીએ તો ? તો કહે હા જરૂર રાખ માંહ્યલી પા રાખ. બસ આટલી જ વાત અને એ નાટક શેડ્યુલ થઇ ગયું. હું નાગર એટલે મેં મારા નાટકને છેલ્લે રખાવ્યું. છેલ્લે દિવસે મારું નાટક. તો નાટ્યમહોત્સવના દિવસો નજીક આવતા હતા. પણ મારા મનમાં નાટકના નામ સિવાય કશું જ નહોતું, થીમ નહોતી. માત્ર within શબ્દ હતો. એટલે એક વસ્તુ નક્કી હતી ભદ્રાયુભાઈ કે જે અંદર ચાલતું  હશે એના વિષે આ નાટક બનશે. તો કઈ હતું નહીં ને દિવસો નજીક આવતા હતા ૧૫ દિવસ જ બાકી હતા. ત્યારે સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી. અને એ મહોત્સવ જાન્યુઆરીમાં થવાનો હતો. તો શિયાળાની એક ઠંડી રાતે હું અને પુષ્પા અમારા ભુજના ઘરમાંથી વૉક કરવા માટે નીકળ્યા. પુષ્પાને તૈયાર થઈને આવતા જરા વાર લાગી. તો પછી ત્યાં સુધી હું મારા પુસ્તકો પાસે ઉભો હતો. એ એમાંથી એક પુસ્તક મેં કાઢ્યું સમય પસાર કરવા માટે.

તમે જુઓ કૃતિ કેવી રીતે અવતરણ કરે છે એની આ વાત છે. અને એમાંથી એક પુસ્તક નીકળ્યું આકસ્મિક રીતે એ પુસ્તક મેં ખોલ્યું,  યોગાનુયોગે એક પાનું ખુલ્યું  ત્ત્યાં થી એક નવી વાર્તા શરૂ થતી હતી. અને એમાં જે પાનું ખુલ્યું એમાં ડાબા હાથે એક વાર્તા હતી parting પાર્ટિંગ – છૂટા પડવું અને પહેલું વાક્ય હતું એના બે પાત્રો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી છૂટા પડે છે. ભદ્રાયુભાઈ,  એ જ  ક્ષણે આખું માલીપા નાટકનું થીમ અને પાછળથી જે પ્રિયજન લખાઈ એનું થીમ મારા મનમાં સ્પષ્ટ થઇ ગયું હતું. પાત્રોના નામ સાથે. એટલું જ નહીં એ નાટકનું અને પછી જે અંતનું વાક્ય બન્યું કે,, ‘ચારુ દિવાકરને કહે છે કે આજે તું જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે કે દિવાકર બીજીવાર મૃત્યુ પામી રહ્યા છે’. એ વાક્ય સહિત આખું થીમ મારા મનમાં સ્પષ્ટ થઇ ગયું. એ કૃતિએ અવતાર લીધો મારામાં એ ક્ષણે. 

બીજી પણ એક વાત છે મારા મનમાં કે દરેક સર્જકની દરેક કૃતિ પોતાના જન્માક્ષર લઈને જન્મે છે. મારી આ કૃતિના જન્માક્ષરમાં એવા ગ્રહો હશે કે એને લોકોની એટલી બધી ચાહના મળશે અને એ તને એક વખતના વીનુમાંથી જનપ્રિય બનાવશે એવા કંઈક ગ્રહો એમાં પડ્યા હોવા જોઈએ. પછી અમે બહાર નીકળ્યા રસ્તામાં મેં પુષ્પાને આખું થીમ કહ્યું એ કહે કે આ તો બહુ સારું છે. અમે આવ્યા તો રસ્તામાં એક મારો પ્રિય પાનવાળો હતો એની પાસેથી મેં ૩૦૦ તમાકુના ૨ પડીકી બંધાવી. ઘેર આવ્યો લૂંગી પહેરી, ઈસ્ત્રી વાળું બાંડીયું પહેર્યું પાના ગોઠવ્યા અને લખવાનું ચાલુ કર્યું. સવાર પડી ત્યાં સુધીમાં ‘માલીપા’ નાટક લખી લીધું હતું. બધું જ સાંગોપાંગ ઉતરતું આવ્યું. નાટક ભજવાયું, રજૂ થયું, બહુ જ ગમ્યું લોકોને નાટક પણ. એના બીજા કે ત્રીજા દિવસે હું બહાર નીકળ્યો હતો ત્યારે એક રિટાયર્ડ પોસ્ટ માસ્તર અને એમના બીજા વૃદ્ધ મિત્રો લગભગ ૭૫ થી વધુના એ લોકો બે જણા મળ્યા. એમાંથી એકે મને કહ્યું એ છોકરા ઉભો રે… હું એ વખતે છોકરો હતો. મારી છાતી એ પંખુડો અડાડીને કહે કે તને અમારી વાતોની ક્યાંથી ખબર પડી ? મેં કહ્યું શું થયું મેં તો કંઈ કર્યું નથી. તો કહે કાલે રેડિયો ઉપર તારું નાટક સાંભળ્યું. તેં તો  અમારી જ વાતો લખી છે. એ ક્ષણથી પ્રિયજન બીજાને પ્રિય થવાની શરૂઆત થઇ ગઈ હતી જયારે મને આજે પ્રિયજનની ૨૦ આવૃતિઓ પછી કોઈ ૧૭ કે  ૧૮ વર્ષના છોકરા છોકરીઓ મળે અને એ જે ચમક એની આંખોમાં દેખાય એ પેલા રિટાયર્ડ વૃદ્ધ માસ્તરની આંખોમાં દેખાતી ચમક જેવી જ ચમક હતી.”