અસ્મિતા વિશેષ સંવાદ : 13 

કોઈ યુવતી ભણી ગણીને સરકારી કાયમી નોકરીમાં લાગી ગયા પછી એ બધું છોડીને દૂર દરાજના અંતરિયાળ વિસ્તારમાં જઈને સેવા કાર્યમાં જિંદગી વિતાવે એ વાત માન્યામાં આવે તેવી નથી ને ?? હા, પણ જેનો ઉછેર જ વેડછીના વડલાની શીળી છાયામાં ગ્રામ પરિવેશમાં ખાદી પહેરીને થયો હોય તેવી યુવતી તો આવું ન વિચારે તો જ પ્રશ્ન ખરો ને ? આ બંને પ્રશ્નાર્થોનો જવાબ આપે છે સુજાતા શાહ. આજે પણ જ્યાં મોબાઈલ જોડી શકતો નથી તેવા વિસ્તારમાં પલાંઠી મારીને બેસેલ સુજાતા શાહ  સંવાદમાં ભાવુક થઈને પોતાની કહાની કહે છે ત્યારે અહેસાસ થાય કે ‘જીના ઇસીકા નામ હૈ’…આવો, જાણીએ  સુજાતા શાહની એક રોમાંચક ઘટનાને.. 

“હું વેડછીમાં રહી ને ઉછરેલી એટલે સેવાનું  કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક ઘણા એટલે મને ખબર હોય કે અહીંયા અહીંયા આવું સેવાનું કામ થઈ રહ્યું છે, એટલે શનિ રવિ અથવા કોઈ વાર રજા મૂકીને પણ એવા કામો જ્યાં ચાલતા હોય ત્યાં હું જોવા જતી. અને મારે આવા કામ કરવા હતા એવું નક્કી પણ એટલો કોન્ફિડન્સ નહોતો.  મને એ નહોતી ખબર કે મારો એકદમ રસનો વિષય કયો ?  કારણ ભણવામાં સિન્સિયર વધારે એટલે વાંચ વાંચ કરેલું વધારે.. એટલે એવું પણ થતું કે ગામમાં કામ કરવું છે પણ ગામમાં જઈને મિટિંગ કરવી હોય તો શું વાત કરવાની, કેવી રીતે ગામમાં જઈને ઉભું રહેવું ? એ કંઈ ખબર નહીં . એટલે મારી મેળે જ એવું વિચાર્યું કે આપણે શરૂઆત એવી રીતે કરીએ કે જ્યાં પહેલેથી કામ થતું હોય એવી  કોઈ સંસ્થામાં જોડાઈએ તો આપણને અનુભવ મળે અને ગામડામાં રહેવા પણ મળે. કોકિલાબેન અને ભીખુભાઇ વ્યાસ વેડછીના જ. અમારી બાજુમાં જ ઘર અને એ ધરમપુરમાં કામ કરતા એટલે એમને ખબર પડી અને મને પણ ખબર પડી એટલે એ જયારે ધરમપુર જતા હોય  ત્યારે હું એમની સાથે ધરમપુર જાઉં કારણકે એ પોતે પણ ત્યારે એમની બોરખડીના  વિદ્યામંદિરમાં આચાર્ય તરીકે હતા.  એ કાયમ ધરમપુર નહોતા રહેતા એટલે એ  જવાના હોય ત્યારે હું સાથે જાઉં.. બધું જોઈ આવું. એક તો મને ધરમપુર પહેલી જ નજરે બહુ ગમી ગયું,  કારણકે એનું કુદરતી સૌંદર્ય અને એનો વિસ્તાર અને એમની સંસ્થામાં દરેક ફિલ્ડમાં કામ થતા જોયાં. એજ્યુકેશનનું, ખેડૂતો સાથેનું, ગામ માટે જરૂરી પ્રવૃત્તિઓ વગેરે.

એટલે બે વર્ષની નોકરી પછી મેં નક્કી કરી લીધું કે મારે કોકીલાબેનની સાથે જોડાઈને ધરમપુરમાં કામ કરવું છે અને ત્યારે મા બાપની સામે ઘરમાં એકદમ ઠોસ કંઈક જાહેર કર્યું કે હવે મારે ધરમપુરમાં કોકીલાબેનની સાથે જોડાઈને કામ કરવા જવું છે. અને ત્યારે પછી એકજાતનો વિરોધ વગેરે બધું શરૂ થયું. બધા મુખ્યત્વે એ સમજાવતા કે, ‘આમાં સલામતી શું ? આવી સંસ્થાઓ તો આજે છે ને કાલે નથી. અને ધરમપુર તને ફરવા જવું ગમે, પણ ત્યાં  કાયમ રહેવું નહીં . ઈલેક્ટ્રીસીટી નહીં, રસ્તા નહીં, પાણીના નળ નહીં, શાકભાજી દૂધ નહીં તો તને બે દિવસ ગમશે, અઠવાડિયું ગમશે તું ત્યાં રહીશ કેવી રીતે ?’ આ બધું બહુ બહુ ચાલ્યું.

એ દરમ્યાન એવી પણ કોઈ ક્ષણ આવી કે મેં પણ થોડો વધુ વિચાર કર્યો.  કોઈ એવી વાત લાવ્યું કે તું પરમેનન્ટ નોકરી છોડીને ન જા,.. તું એક વર્ષની લિવ વિધાઉટ પે મૂકી દે. એટલે એક  વર્ષ તું ત્યાં રહી જુએ તો તને ખબર પડે કે ત્યાં તારાથી રહેવાય છે કે નહીં ?  અને આ આ બાજુ  નોકરીની પણ સલામતી. એ મને ગમી ગયું એટલે હું ઢીલી પડી અને મેં અરજી કરી મારી સ્કૂલમાં કે મને ૧ વર્ષની લિવ વિધાઉટ પે જોઈએ છે.  અમારા પ્રમુખ  ખાદીવાળા અને આવા કામને માનવાવાળા,  એટલે મને એવું હતું કે મારી અરજી તો મંજુર થઈ જ જશે. પણ એ એક વર્ષની લિવ ના-મંજુર થઈ.  ધરમકાકાની ઉંમર ૯૦ વર્ષ, ખાદી જ પહેરતા, એટલે હું સીધી એમની પાસે ગઈ ને પૂછ્યું કે મારી અરજી નામંજૂર કેવી રીતે કરી ? હું તો સેવા કામ કરવા જાઈ  રહી છું એટલે  મારી સામે જોયું અને પછી પૂછ્યું કે,  ‘તારે ખરેખર આવું કામ કરવા જવું છે ?’ મેં કીધું હા. એનો એ જ સવાલ ફરી કર્યો,  મેં કીધું હા… ત્રીજી વાર પૂછ્યું,  મેં કીધું હા,,.. તો કહે કે તારે ખરેખર જવું હોત તો તું આવી અરજી ના કરત. તું મારી દીકરી હોત તો હું પણ તને આ સલાહ આપત કે તું ૧ વર્ષની રજા લઈને જા. પણ તને હું એક વડીલ તરીકે સલાહ આપું છું કે તારે ખરેખર જવું હોય,,,,તો,,, તારે ખરેખર જવું હોય તો તું દોરડું કાપીને જા એટલે કે તું રાજીનામુ આપીને જા.  તારી નોકરી ચાલુ હશે તો તને થોડું પણ એમ થશે કે મને નથી ફાવતું એટલે તારા પાછા આવવાના ચાન્સ બહુ વધી જશે. અને બીજું એક સ્કૂલના પ્રમુખ તરીકે તો હું તારું અરજી નથી જ કરવાનો કારણકે સ્કૂલ એ મારી ફરજ છે. તને ફાવી ગયું અને તું પછી ન આવે તો અમારે તારી ૧ વર્ષ રાહ જોવાની અને પછી મારે બીજા નવા ટીચર શોધવાના એટલે તારી રજા તો મંજુર નહીં જ થશે પણ તારે માટે પણ એ જરૂરી છે કે તું આ દોરડું કાપીને જા… બસ, એમ જ દોરડું કપાયું અને હું ધરમપુર, પિંડવળ, ખડકીની બનીને જીવવા લાગી.”