અસ્મિતા વિશેષ સંવાદ (24) 

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

શિક્ષણ, સાહિત્ય, સેવા, પ્રકાશનની દુનિયામાં પ્રદાન કરનાર ધૈર્યશીલ વ્યક્તિત્વ એટલે ગાંધીજન રમેશ સંઘવી. એમની સાથેનો સંવાદ આધ્યાત્મિકતાના માર્ગે આગળ ધપ્યો. શાંત વહેતા જળની જેમ મૃદુ અવાજમાં એકદમ ધીરજથી પોતાની મક્કમ વાતો રમેશ સંઘવીએ કરી. એ સંવાદનો સ્વાદ ચાખીએ. 

“ગામડાનું કામ કરું, શિક્ષણનું કામ કરું, સાહિત્યનું કામ કરું એ પહેલેથી જ ગમતું હતું. એટલે જે કઈ કામો કર્યા એ ગામડાને કેન્દ્રમાં રાખીને કર્યા. ગાંધી, ગામડું, ગરીબાઈ  આ બધું એક સાથે જોડાયેલું જ લાગ્યું છે. એટલે ગાંધીને યાદ કરું એટલે ગામડું યાદ આવે, ગાંધીને યાદ કરું એટલે જે છેલ્લો માણસ છે એ યાદ આવે. એટલે ગાંધીનું કામ કરવું હોય તો ગામડામાં બેસીને કરાય તો વધારે ગાંધીનું કામ થઇ શકે. વધારે ગરીબોનું કામ થઇ શકે. શિક્ષણનું કામ ગમતું હતું સાથે સાથે સાહિત્યનું કામ પણ ગમતું હતું. સાહિત્યમાં અક્ષરભારતી કરીને એક પુસ્તકોનું પ્રકાશન ગૃહ અને વેચાણગૃહ શરૂ કરેલું. શિક્ષણ માટે થોડી શાળાઓ અને સંસ્થાઓ શરૂ કરી.  એક સંસ્થા મેં શરૂ કરી એ કચ્છના  રણની વચ્ચે. કચ્છનું જે મોટું રણ છે એ મોટા રણમાં ધોળાવીરા કરીને જૂની પુરાતત્વની નગરી નીકળી છે,  વર્લ્ડ હેરિટેજ ગણાય છે તો એ ધોળાવીરા જતા પહેલા એની બાજુમાં જ રતનપર નામનું આયરોનું ગામ આવે,  ચારે બાજુ રણ જ. દસેક કિમી રણ ક્રોસ કરીએ ત્યારે બેટ ઉપર પહોંચાય. બેટનું નામ ‘ખડીર બેટ’. બાર તેર નાના નાના ગામડાઓ. છેલ્લું ગામ ધોળાવીરા, પહેલું ગામ અમરાપર.એના પછી આસપાસ બીજા નાના નાના ગામડાઓ. તો એવા વચ્ચેના એક રતનપર ગામમાં આગેવાન સવાબાપા એણે અમને નવ દસ એકર જમીન ભેટ આપી અને એ જમીન ઉપર શાળા, છાત્રાલય અને બીજી બધી ઘણી પ્રવૃત્તિ શરૂ કરી. આજે પણ ૨૫૦ બાળકો ત્યાં રહે છે, જમે છે, ભણે છે, કેમ્પસ પર જ છે. દસ ધોરણ સુધીની શાળા છે પણ અત્યારે હું નથી સંભાળતો બીજા મિત્રો સંભાળે છે, પણ ચાલે છે આજે પણ. તો એ આખા વિસ્તારમાં લાઈટ પણ નહોતી, રસ્તાઓ પુરા નહોતા. જયારે શરૂ કર્યું ત્યારે, ટેલિફોન તો વાત જ નહીં, મોબાઈલનો તો યુગ આવ્યો નહોતો. અને એવા વિસ્તારમાં આપણે કામ શરૂ કર્યું તો પણ એ પડકાર જેવું લાગ્યું નથી. પડકાર હોવા છતાં પણ એમ લાગ્યું કે આપણે એની સાથે એકરસ થઇ ગયા છીએ.  અને એના  સંવેદનો, આંદોલનો એ આપણી સાથે જોડાઈ ગયા છે તો જુદાઈ લાગતી નહોતી. મજા આવતી હતી. અંદર બાળકોને  લઇ આવતા વઢિયાઓમાંથી,, વઢિયા એટલે સાવ કાચું મકાન હોય, ઘાસ છાયેલું હોય, ભીંતડાં હોય તો હોય તો એ પણ ઘાસના જ હોય. દરવાજામાં કઈ ન હોય એક પતરું આડું  મૂકી દીધું હોય. ચોરાઈ જાય એવું કશું અંદર હોય જ નહીં એટલે એવી ચિંતા ન હોય. એટલે એવામાંથી અમે દીકરીઓને લઇ આવતા અને શિક્ષણકામ શરૂ કર્યું અને એ પછી વિકસતું ગયું, પાણીના કામ કર્યા, સ્વાવલંબનના કામો કર્યા, ત્યાં ખાસ કરીને બહેનોને સ્વરોજગારી મળે એના માટેના સિલાઈ મશીન શીખવવાના, એમ્બ્રોડરી શીખવવાના એ બધા કામો કર્યા, વ્યસન મુક્તિના થોડા કામો કર્યા એ પ્રકારે એ આખા વિસ્તારમાં પ્રવૃત રહ્યા. જે કર્યું તેના કેન્દ્રમાં  પ્રવૃત્તિ જ રહી. પ્રવૃત્તિ દ્વારા જ શીખવાનું. એવું જ કર્યું કે બાળકો થોડું બગીચાનું કામ કરે, સફાઈનું કામ કરે, પ્રવાસે લઇ જઈએ, જાતે રસોઈ બનાવે એ બધી પ્રવૃત્તિ જ કરે. એમાંથી જ શીખવાનું  થાય. 

૧૯૬૭ માં ગ્રેજ્યુએટ થયો પછી કામ કર્યું. કચ્છમાં લખપર તાલુકો છે બહુ જ છેવાડાનો અને પછાત તાલુકો ગણાય. એમાં એક દયાપર ગામ. એ દયાપર ગામમાં ગયો હું તો  મગનભાઈ સોનીએ મને કહ્યું કે તું ત્યાં બેસ અને ગમે તે કામ શરૂ કર એટલે ત્યાં થોડુંક સફાઈનું એવું તેવું કામ શરૂ કર્યું. અને સાત ધોરણ સુધીની શાળા ગામમાં હતી,  આઠમું ધોરણ શરૂ કર્યું. પછી પાછું મેં B Ed કર્યું પછી પાછું ત્યાં જવાયું નહીં. પણ એ કામ ૧૯૬૭ માં શરૂ કર્યું પછી B Ed કર્યું. B Ed કર્યા પછી સિદ્ધપુરની બાજુમાં એક સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ એ ૧૯૬૮ માં શરૂ થયેલી મકાન વગેરે બન્યું નહોતું પણ જમીન ઘણી હતી. સરકારે એ વખતે ૪૦૦ એકર જમીન આપેલી અને ૩૦૦ એકર રિઝર્વ રાખેલી. એ વખતે શ્રીમન નારાયણ ગવર્નર હતા. ગવર્નરનું રાજ્ય હતું એટલે ૪૦૦ એકર જમીન તો ખાતે જ ચડાવી દીધી. બહુ વિશાળ જમીન. કેટલીય  જમીન તો સરસ્વતી નદીને કાંઠે આવેલી અને એ આખી વિદ્યાપીઠની શરૂઆતથી ૧૯૭૦ થી ૧૯૭૪ સુધી ચાર વર્ષ હું ત્યાં રહ્યો. પછી ૧૯૭૪ માં ટ્રસ્ટીઓ સાથે થોડા મતભેદોને કારણે મન થોડા ઉંચા થયા એટલે અમે ઘણાએ એક સાથે ત્યાંથી કામ છોડી દીધું. પણ ત્યાં પણ લોક્ભારતીનો વિચાર હતો એ મુજબ ત્યાં બધું ગોઠવાયું હતું કારણકે અમે બધા લોકભારતીમાં ભણેલા હતા. અમારા પ્રિન્સિપાલ જયંતભાઈ શાહ હતા એ પણ લોકભારતીમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને આખું વાતાવરણ ઉભું થયું એ એવું જ ઊભું થયું એમાં અમારું પણ ઘડતર થયું. સંસ્થાનું તો નિર્માણ થતું ગયું પણ અમારું પણ નિર્માણ થતું ગયું. આંતર ચેતના પણ એક પ્રકારની એક ખુલ્લા ઉજાસ કે ખુલ્લાપણું અનુભવતી ગઈ અને એ બહુ ઉપયોગી બનતું ગયું. પછીના જે કામો થયા એમાં આ અનુભવો બહુ કામમાં આવ્યા.

કોઈ વસ્તુ છોડી ન શકાય એવું નહિ. કેમ ન છોડી શકાય ? તો કે પછી આજીવિકાનું શું થાય ? એનાથી અમે  જુદા પડ્યા છીએ. અંદર નો એક પ્રવાહ સતત રહ્યો. કે અફસોસ  ક્યાંય ન થયો. ઘણું શરૂ કર્યું. લોકો એમ પણ કહે કે,  આટલું બધું ઊભું કર્યા પછી તમે મુક્ત થઇ જાઓ છો તે કશી જ પછી આસક્તિ નથી રહેતી ?  એટલે આસક્તિ કે ચીટકાવ કે એટેચમેન્ટનો ભાવ સતત કે આ મારું છે એવું ક્યાંય રહ્યું નથી. એ વળગાડ  નથી રહ્યો. બસ એક સાધના રહી કે આસક્તિથી કેમ મુક્ત થવું અને અહંકારથી કેમ મુક્ત થવું. આ બે વસ્તુ છે એ સાધનામાં અવરોધ બને છે.

મને સમજ્યું છે કે ગાંધીના બે સ્વરૂપો હતા. એક લોકો સાથેનું, રાષ્ટ્ર સાથેનું સ્વરૂપ હતું અને બીજું પોતાની જાત સાથેનું હતું. એટલે જ  નારાયણભાઈ બે શબ્દો કહેતા કે ગાંધી ‘લોક્સ્થ’ અને ‘આત્મસ્થ’ પણ હતા. ગાંધીનું બીજું પાસું સાધનાનું પાસું હતું. ગાંધી માટે હું તો જોઉં છું કે જે પ્રવૃત્તિ કરતા, વ્યવહાર કરતા, બેઠા હોય, કે  જે કઈ કરતા હોય એ બધું એમની સાધના હતી.  અને  એ રીતે જોઈએ તો ખ્યાલ આવે કે જાગૃતિથી એ બધું કામ કરતા હતા. એ ક્યારેક આશ્રમવાસીઓને ખિજાયા પણ હોય. નાનકડી સજા પણ કરી હોય એવું પણ બન્યું છે પણ આ બધું સાધનાનો જ એક ભાગ હોય, એ રીતે બન્યું છે, કોઈ દ્વેષભાવથી બન્યું જ નથી. પોતાની પણ સાધના અને જે વાતાવરણ નિર્માણ કરવું છે એના માટે બધાને . ચાર્જિંગ કરે છે. તો વાતાવરણ નિર્માણ કરવા માટે થઈને ક્યારેક આવું કરવું પડે, કટુતા વાપરવી પડે તો વાપરી હોય, પોતાની જાત માટે પણ વાપરી છે, કસ્તુરબા માટે પણ વાપરી છે, પોતાના બાળકો માટે પણ વાપરી છે પણ એક સાધનાના ભાગરૂપે વાપરી છે. એટલે એ વાત આપણી મોટાભાગની સંસ્થાઓના ગાંધીજનો પકડી શક્યા નથી.

હું જયારે અહંકારમાં પડું, આસક્તિમાં પડું તો મને જ દુઃખ ઊભું કરે છે ને,  કારણ કે હું છોડી નથી શકતો,  તો છોડી નથી શકવાનો જે ભાર છે એ મને દુઃખ આપ્યા કરે છે. હું છોડી દઉં છું પછી મને દુઃખ રહેતું નથી. ગમે તે વસ્તુ હોય. અને આમ જોવા જઈએ તો છોડવામાં કઈ જતું નથી. આમ તો ઘણું મેળવો છો બીજી રીતે જોઈએ તો. છોડીને પણ ઘણું મેળવો છો એટલે હતું એના કરતા વધારે મેળવી શકાય છે કારણકે તમે ખાલી બની ગયા, કેટલો અવકાશ આવ્યો. આજે અવકાશમાં સાધનાની વાત આવે છે. વિચારોમાં, આચરણમાં બધું ભરચક્ક અને ભીડવાળું હોય. આજના જુવાનિયાઓ પણ એવી વાત કરે છે મને સ્પેસ જોઈએ. એમાં તથ્ય છે. અને એ સ્પેસ ભલે માત્ર ભૌતિક રીતે ખરેખર જે આગળ વધે તો અંદર જે ધ્યાન છે  એ શું છે, સ્પેસ જ છે એક પ્રકારની, સાધના કે જે કઈ અધ્યાત્મની યાત્રા એ ખુલ્લા થવાની યાત્રા છે. અંદરનું બધું બહાર કાઢીને શૂન્યતા છે એને જીવવાની વાત છે. એ અધ્યાત્મની યાત્રા છે. એ અધ્યાત્મની યાત્રા  જીવનથી જુદી નથી. એ જ જીવનની યાત્રા છે. અને એ થાય ને તો વ્યક્તિ પોતે ઘણો સ્વસ્થ રહી શકે છે. માનસિક રીતે, શારીરિક રીતે, પારિવારિક રીતે થોડો સ્વસ્થ રહી શકે અને આસપાસમાં થોડું યોગદાન આપી શકે. એટલે મને  પહેલેથી એ માર્ગ પ્રકૃતિ દ્વારા, નિયતિ દ્વારા મળેલો કે જેમાં કરવાનું, ઘણું કરવાનું, પણ પછી મુક્ત થતા જવાનું. ભૂલી જવાનું. આપણે કહીએ ને નેકી કર, કુવેમેં ડાલ.