અસ્મિતા વિશેષ સંવાદ : (18)

વડોદરાના વાઘોડિયા ગામ પાસે એક સ્પર્શી જાય તેવો માનવીય આશ્રમ છે. ના, અહીં કોઈ ધ્યાન-પૂજા-ભજન- હવન થતાં નથી પણ અહીં અદભુત માનવસેવાનો ધૂણો અવિરત ધખે છે. એક વિરલ સાધ્વી અનુબેન (ઠક્કર) અહીં તેમના ગુરુ શ્રી મુનિ બાબાની આજ્ઞાથી આવ્યા, સેવામય રહ્યા અને અહીં જ વિરમ્યા. ડોક્ટર થવા નીકળેલ એક યુવાન અનુબેનના કહેવાથી બધું છોડી અહીં 1983થી આવી વસ્યો અને આજે અનુબેનની દૈહિક ગેરહાજરીમાં વિરાટ વિવિધક્ષેત્રીય સેવાયજ્ઞ કરે છે. એ યુવાન ડોક્ટર એટલે અસ્મિતા વિશેષ  સંવાદમાં પધારેલા ડો. વિક્રમ પટેલ.

એકદમ સૌમ્ય અને સાલસ વિક્રમને પહેલો જ પ્રશ્ન પુછાય ગયો કે તમે અહીં કેમ આવી ચડ્યા ?? અને ડો. વિક્રમે જે જવાબ આપ્યો તે જાણીએ…

અનુબહેનના બા બાપુજી સાણંદમાં રહેતા હતા. નાનપણથી ભક્તિ અને સન્યાસ તરફ એમની વૃત્તિ હતી. સાણંદ ગામની બહાર એક મહારાજ રહેતા હતા.  સંતનું  નામ કોઈને ખબર નથી,  પણ બાર વર્ષ મૌન રાખેલું એટલે લોકો એને મૌનિ બાબા તરીકે ઓળખે. સાણંદની બહાર. બહેન ત્યાં જતા આવતા હતા અને એમને થયું કે આ કોઈ સારા ઉચ્ચ કોટિના સંત છે અને બહેનને દીક્ષા લેવાનો વિચાર તો હતો. એટલે પહેલા તો બહેન કોલકત્તા ગયા બેલુર મઠ કારણકે સ્વામી વિવેકાનંદ એમના માટે ભાવના પુરુષ હતા. અને લગ્ન માટે પણ બેન ઘણી વાર મને એમ કહેતા કે  સ્વામી વિવેકાનંદ જેવા મળે તો હું કરું ને નહિતર ક્યાંથી કરું ??  પણ ત્યાં  આગળ એમને સન્યાસ આપવાની ના પાડી કે અમારે ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ જોઈએ. અનુબહેન સાત ચોપડી પાસ હતા. એટલે મુનિ મહારાજને એમણે વિનંતી કરી કે મારે સન્યાસીની થવું છે,  મને સન્યાસ આપો. એટલે મુનિ મહારાજે કીધું કે જો આ એક બાવો તો મફત ખાય છે એમાં તારે વધારો શું કામ કરવો છે ? એના કરતા તમે શિક્ષિકાનું ભણેલા છો, તો શિક્ષિકાનું કામ કરો.એટલે બેને પૂછ્યું કે ક્યાં કરું, શું કરું ? એટલે અત્યારે જે આશ્રમ છે એની પાસે મુનિ મહારાજના એક ભક્તનું ખેતર હતું અને મહારાજ ત્યાં આવતા કારણકે પાછળ એક સુંદર નાનકડી નદી છે. બારેમાસ વહેતી એટલે એમની પ્રકૃતિને અનુકૂળ હતું ધ્યાન વગેરે કરવા માટે.. એટલે એમણે અનુબહેનને કીધું કે હું ત્યાં જાઉં છું.  ત્યાં શિક્ષણનું કશું છે નહીં. મા બાપ આખો દિવસ ખેતરમાં રહે  અને છોકરાઓ શેરીમાં રખડ્યા કરે. એટલે અનુબહેને ત્યાં આવી ૧૯૭૮ માં પહેલા એક બાલમંદિર ચાલુ કર્યું. અને બે વર્ષ એ મુનિ મહારાજના ભક્તને ત્યાં રહ્યા અને પછી આ જે જગ્યા અત્યારે મુનિ સેવા આશ્રમ છે ત્યાં આગળ એમણે આશ્રમનું  રજીસ્ટ્રેશન કરીને સ્થાપના  કરી અને ૧૯૮૦ માં મુનિ સેવા આશ્રમ અસ્તિત્વમાં આવ્યો. પહેલા ત્રણેક વર્ષ બહુ મુશ્કેલી પડી. પચાસ રૂપિયા લઈને આવેલા એ પચાસ  રૂપિયા બાળકોના નાસ્તામાં દસ દિવસમાં વપરાઈ ગયા. પછી શરૂઆતમાં આજુબાજુના સારા ઘરોએ જઈને લોકોને વિનંતી કરે કે બાલમંદિર ચલાવું છું મને નાસ્તો કે એના માટે કંઈ આપો.. અમુક બાળકો આવે અમુક ના આવે એટલે પછી ઘરે જાય સાંજે અને કહે કેમ નથી આવ્યો ? મા બાપ કહે બીમાર પડ્યો છે. પૂછે કે  શું કર્યું ? તો કહે  આ ભુવોનું  પાણી લઇ આવ્યા છીએ , દોરો મંત્રાવી લાવ્યા છીએ  એટલે અનુબેનને વિચાર આવ્યો કે એકાદ નાનું ક્લિનિક ચાલુ કરીએ. પૈસા હતા નહીં એ વખતે એટલે અમારી મેડિકલ કોલેજમાં આવેલા અને અમને ઈન્ટર્ન્સને રિકવેસ્ટ કરવા કે ભાઈ તમે છોકરાઓ શું કરો છો ? અમે કીધું કઈ નહીં, ખાઈ પી ને મજા…બીજું તો શું… તો કે તમે રવિવારે વારાફરતી મારે ત્યાં ન આવો ? હું તમને આવવા જવાનું બસ ભાડું આપીશ.. એટલે અમને થયું કે મજા આવશે ચાલો.. એટલે એ રીતે અમે બધા વારાફરતી આવતા હતા. પણ ગામના લોકો ને તો ખબર નહીં કે ઈન્ટર્ન્સ એટલે શું એટલે એમને એમ કે ડોક્ટર આવે છે.. એટલે મોટા લોકો પણ આવવા લાગ્યા. એમાંથી બેનને થયું કે એક ડેઈલી ક્લિનિકની જરૂર છે અહીંયા.. એમાંથી ખબર નહીં પણ શું હશે મારું અને એનું ભાગ્ય,, \એમણે મને કીધું કે, તું વિક્રમ રહી જા તો આપણે ડેઈલી ક્લિનિક ચાલુ કરીએ.’ એટલે મેં કીધું ઇન્ટર્નશિપ પુરી થાય પછી વિચારું બેન.. ત્યાં સુધી દર રવિવારે આવતો રહીશ.

ઇન્ટર્નશિપ પછી મારો વિચાર હતો ઓર્થોપેડિક કરવાનો. મેં કીધું ઓર્થો કરીને પછી આવું  તો બેન કહે … ‘એ તો બધી વાતો..ઊંટના શીંગડા જેવી.. એ પછી તો તમે કઈ આવવાના નથી. આવવું હોય તો અત્યારે આવી જાઓ’.. પછી મને થયું કે આ વાત તો સાચી એટલે હું બીજે દિવસે બેગ લઈને આવી ગયો એટલે ત્યારથી પછી આશ્રમ જોડે…હું કાયમી આવ્યો ૧૩ મી ફેબ્રુઆરી ૧૯૮૩ના ….