અસ્મિતા વિશેષ સંવાદ :21

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com  

શ્રી સુરેશ સોનીએ સંકલ્પ કર્યો છે કે તેઓને પંચોતેર વર્ષ  થયા ત્યારથી તેઓ પોતાનું સેવા-કેમ્પસ છોડીને ક્યાંય બહાર જશે નહીં… વાત માન્ય, પણ અમારે તો અસ્મિતા વિશેષ સંવાદમાં તેમની સેવા-જીવન-યાત્રા અંગે સંવાદ કરવો જ હતો અને એટલે અમે તો કેમેરા-લાઇટ્સ લઈને ઉપડ્યા તેમનાં  નિવાસ કમ સેવાક્ષેત્રે… રક્તપિત્ત વાળા લોકોનું એક આખું નગર !! અદભુત કાર્યના દર્શન થવાના  હતા તેની તો ખાતરી જ હતી પણ અમે શ્રી  સુરેશભાઈ સાથેના સંવાદથી તો જાણે  અવાચક જ થઈ ગયા !! આવો તેના થોડા અંશો  જાણીએ ::  

 ‘મારો જન્મ ૧૯૪૪ માં નર્મદા કિનારે સિનોર ગામમાં થયો. એ ગામથી એક બે કિમી આગળ માલસર ગામ પ્રસિદ્ધ છે પૂજ્ય ડોંગરેજી મહારાજને કારણે. મારા પપ્પાને અમે મોટાભાઈ કહીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બોલાવતા  અને મારા માતુશ્રીને અમે બધા સાનીબા કહેતા. મારા દાદા વહેલા ગુજરી ગયેલા એટલે મારા પિતા શ્રી હરિલાલભાઈને ચૌદ પંદર વર્ષની ઉંમરે  ભણવાનું છોડી અને એમના બાપાની સોના ચાંદીની દુકાનમાં બેસવાનું થયું. એ દુકાનમાં બેઠા ધંધો ચાલવા મંડયો. બે એક વર્ષ પછી એક દિવસ એમને ઓચિંતો વિચાર આવ્યો એ જમાનામાં એવું હતું કે તમે પાંચ ગ્રામ સોનુ આપો છો અને અમે તમે દાગીના પાછા આપીએ ત્યારે પાંચ ગ્રામ વજન કરીને આપવાનું.  તમારે મજૂરીના પૈસા આપવાના. પણ એકલા સોનાના દાગીના કોઈ દિવસ થાય નહીં એમાં તાંબુ તો ઉમેરવું જ પડે. એટલે પાંચ ગ્રામની સામે પાંચ ગ્રામ આપીએ એટલે જેટલું તાંબુ ઉમેરાયું એટલું સોનુ અમને મળ્યું !! એમના મનમાં વિચાર આવ્યો કે ભલે આખી દુનિયામાં આ બધું ચાલે અને તે  કાયદેસર પણ ગણાય છે પણ આ નૈતિક રીતે બરાબર નથી.  એટલે એમણે સંકલ્પ કર્યો કે હું આવું નહીં ચલાવી લઉં. અને એના કરતાં એમની મહાનતા એ છે કે જે થોડો ઘણો વારસો મારામાં આવ્યો એમણે જે નિર્ણય કર્યો તે અગાઉની તારીખથી અમલમાં મુક્યો, તે દિવસથી નહીં. તેમણે ગણતરી કરી કે હું દુકાનમાં બેઠો ત્યારથી આજ સુધી આવું હું કેટલું કમાયો એનો હિસાબ કર્યો. અને પછી ધીમે ધીમે એટલા પૈસા બચાવ્યા અને અમારા ઘરની નજીક રામજી મંદિર હતું ત્યાં આગળ દાગીના કરીને ભેટમાં આપી આવ્યા અને ત્યાર પછી એ બિલકુલ પ્રામાણિકતાથી જીવ્યા. 

અમે સાત ભાઈ બહેનો,  એમાં હું સૌથી નાનો અને આજે મને ૭૮મું  વર્ષ ચાલે છે એટલે તમે કલ્પના કરી શકો કે ક્યાં જમાનાની આ બધી વાતો છે. એમણે એ જમાનામાં નર્મદાની પગે ચાલીને પરિક્રમા કરેલી.  તે વખતે હું સિનોરમાં પ્રાથમિક શાળામાં, પણ પિતાશ્રી માંદા પડ્યા એટલે એમને થોડી મદદ થાય એ હિસાબે હું બે ત્રણ મહિના વડોદરા આવીને રહ્યો. ભાઈને ઘરે હું રહેવા આવ્યો અને તે વખતે એમને થોડી મદદ કરું, પણ એમણે તે વખતે મને ગણિત પાકું કરાવડાવ્યું એને કારણે છેવટે હું Msc વિથ મેથેમેટિક્સ થયો અને વડોદરા યુનિવર્સીટીમાં મેથેમેટિક્સનો અધ્યાપક થયો.  અમારા ગણિત-શિક્ષકે  ભણાવતા ભણાવતા ક્યારેક ઈનડાયરેકટલી વાત કરી હશે કે આપણે માણસ છીએ તો આપણે માણસો માટે કશુંક તો કરવું જોઈએ.. અને ભગવાનની કૃપાથી આ વાત મારા મગજમાં ઉતરી ગઈ. કશું કરવું છે એ વિચાર કરવા મંડયો,  શું કરવું છે એ કશું સૂઝતું નહીં. એ જમાનાનું ઓલ્ડ એસ એસ સી થયો અને મેં નોકરી સ્વીકારી લીધી.  પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે જયારે મારું  મનગમતું ક્ષેત્ર મળે ત્યારે નોકરી છોડી દેવી. શોધ ચાલુ હતી. આ ૧૯૬૬ ની વાત. ૧૯૬૬ થી ૧૯૭૦ નાના નાના કામો હું કરતો. દા.ત. વડોદરા એચસીજી હોસ્પિટલમાં અઠવાડિયામાં એક દિવસ જવાનું ને કોઈને કાગળ લખવો હોય તો લખી આપવાનો,  કોઈને ખાવું હોય તો લાવી આપવાનું, કોઈ બે ચાર મહિના હોસ્પિટલમાં જ રહેવાનું હોય તો એને મનગમતી ચોપડીઓ લાવીને વાંચવા આપવાની અને રજા પડે ત્યારે ચોપડી પાછી લઈ આવવાની. ૧૯૭૦ માં વડોદરામાં સરકારી લેપ્રેસી હોસ્પિટલ હતી. એનું નામ અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ.  એક જમાનામાં એવું કહેવાતું હતું કે અત્રી  ઋષિને રક્તપિત્ત થયેલો ત્યારે અનસૂયા માએ  માટી લગાડીને એ રોગ મટાડેલો અને એ જે જગ્યાએ ત્યાં રહેલા એ નર્મદા કિનારે ગામનું નામ પણ અનસૂયા. અને માટીથી તો રોગ મટાડેલો એટલે એ જમાનામાં વડોદરાની ગાયકવાડ સરકારે ત્યાં લેપ્રેસી હોસ્પિટલ ઉભી કરેલી અને એનું નામ પાડેલું અનસૂયા લેપ્રેસી હોસ્પિટલ. ત્યાં મારા મિત્રનો બનેવી કમ્પાઉન્ડર . અમે લોકો પંદર દિવસે ભેગા થઈએને  પિક્ચર જોવા જઈએ અને કોઈકને ઘરે જઈને ટોળા ટપ્પા મેરી.  ૧૯૭૦ માં મને વિચાર આવ્યો કે આપણે એને ઘરે જઈએ છીએ જ્યાં હોસ્પિટલમાં એનું ક્વાર્ટર છે પણ હોસ્પિટલ આપણે તો જોઈ જ  નથી. એટલે થયું કે ચાલો હોસ્પિટલ જોઈએ. ૧૯૭૦ ની વાત ત્યારે મારી દીકરી પણ ત્રણ ચાર મહિનાની હતી. અમે હોસ્પિટલ જોઈ ખાટલે ખાટલે ફર્યા ત્યારે થયું કે આ કામ તો કરવા જેવું છે. હું કશું કામ શોધું છું તે. એકાદ મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. અમદાવાદમાં સદવિચાર  પરિવાર નામની સંસ્થા અને એનો હું મેમ્બર હતો. એટલે એના હિસાબે વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે રાખડી બાંધવા જતા એટલે એના પછી મને  વિચાર આવ્યો કે આ લેપ્રેસી હોસ્પિટલમાં આવવાવાળા એક વખત ઘર છોડે પછી પાછા ક્યાંય જતા નથી. મહિના પછી રક્ષાબંધન આવે છે તો આપણે ત્યાં જઈને રક્ષાબંધન કરીએ. એટલે અમે ગયા,  રાખડી બાંધી પછી મેં પૂછ્યું, હું તમને કેવી રીતે મદદરૂપ થાઉં. ત્યાં એક ભાઈ હતા એમણે કહ્યું કે સુરેશભાઈ મારી મદદની જરૂર અહીં હોસ્પિટલમાં નથી અહીંથી આ લોકો પાછા  ઘરે જઈ શકવાના નથી.  બહાર નીકળીને એમણે  ભીખ મંગાવી ન પડે તેવું કશુંક કરો. શરીર પરના જખ્મ કરતાં દિલ પરના જખ્મ એમના વધારે હતાં. ત્યાં અમે  કામ શરૂ કર્યું થોડા વખતમાં મારી પત્ની ઇન્દિરા પણ ત્યાં આવતી થઈ. લોકોનું માથું ઓળી આપે. કોઈ એમ કહે મારે આજે શિરો ખાવો છે તો ઘરેથી લાવીને શિરો ખવડાવે.’

‘અને આમ, અમારો સેવા યજ્ઞ શરુ થયો અને મેં મેથ્સના પ્રોફેસરની નોકરી છોડી દીધી. આજે તો રક્તપિત્ત અને મંદ બુદ્ધિના લોકોનું એક આખું નગર અહીં અમે વસાવ્યું છે. અહીં સૌ સ્વતંત્ર છે અને છતાં સૌ સાથે છીએ…’