સ્વનિસબતની સંવાદયાત્રા

લગભગ સાડા ત્રણ દાયકાના આત્મીય અનુભવ પરથી મને સમજાયું છે કે ચારિત્ર્ય-મૂલ્ય-નૈતિકતા વગેરે બાબતો વ્યાખ્યાનોથી કે ઉપદેશોથી સમાજમાં પ્રસ્થાપિત કરી શકાય તેમ નથી. આ બાબતમાં, હૃદય સોંસરવા ઉતરે તેવા વાર્તા કે પ્રસંગ વધુ સચોટ અને પરિણામલક્ષી પુરવાર થાય છે.  વળી, વાર્તા વાંચીને કે સાંભળીને તેના પર પૂર્ણવિરામ મૂકાઈ જાય તો પણ અર્થ સરતો નથી.
 ચોટદાર વાર્તા કે પ્રસંગ વાંચીને તેના કેન્દ્રવર્તી વિચાર બીજ પર હૈયું, મસ્તક અને હાથ ની કશીક પ્રવૃત્તિ શરૂ થાય તો જ કશી નિસ્બત નું સર્જન થાય.  ‘હૈયું-મસ્તક- હાથ’ એટલે 105 કહાની ના સહારે વ્યક્તિની નિસ્બત, નવતા, અને નિષ્ઠાને ઢંઢોળવાનો પ્રયાસ.
 
 ‘હૈયું-મસ્તક-હાથ’ એક બેઠકે વાંચી જવા નું પુસ્તક નથી આ તો બે સાથીઓ કે બે સહકાર્યકરો કે બે અપરિચિત વ્યક્તિઓએ સાથે બેસીને વાગોળવાની પ્રયોગપોથી છે. આ પુસ્તકમાં 105 નાની-નાની કહાનીઓ જ નથી… જીવન જીવવાની દિશાઓ ખોલી આપતી 105 ચરિત્ર કથાઓ છે રોજ એક કહાની અને તે કહાની પર આત્મખોજ! ‘હૈયું-મસ્તક-હાથ’ Human Resource Management and Training  માટે 105 મૉડ્યૂલ્સ આપતી practice book છે.  આ પુસ્તક હૈયામાં સૂઝે તેટલા ઉપયોગો, મસ્તકમાં આવે તેટલા વિચારો અને હાથને જચે તેટલી પ્રવૃત્તિઓનો સંદર્ભગ્રંથ છે.